Friday, March 9, 2018

समत्वम् योग उच्यते


*ગીતામાં સમતાનું મહત્વ*

ભારતીય તત્ત્વજ્ઞાનમાં *સમતાનું* વિશેષ મહત્વ છે. કોઈ પણ કામ કરતા પહેલા આ કામ હું, સ્વાર્થ માટે નહીં પરંતુ પરમાર્થ માટે આ કામ કરું છું, તેવી ભાવના કેળવવી જોઈએ.

*યોગસ્થઃ કુરુ કર્માણિ*
*સંગં ત્યક્ત્વા ધનંજય,*
*સિધ્ધયસિધ્ધયો ભૂત્વા*
*સમત્વં યોગ ઉચ્યતે*

"હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિધ્ધિ અને અસિધ્ધિમાં સમબુધ્ધિ રાખીને યોગમાં સ્થિર થઈ કર્મ કર;
*સમત્વ એ જ યોગ કહેવાય છે."*

ગીતા 02. 48.

*સમત્વં યોગ ઉચ્ચતે - સમત્વ એ જ યોગ કહેવાય છે*
પરંતુ, સમત્વ એટલે શું?
આપણે સમગ્ર જીવન દરમિયાન પસંદગી કરતાં હોઈએ છીએ.
આ કરવું, આ ન કરવું.
આ ખાવું, આ ન ખાવું. આ ન પહેરવું, આ પહેરવું.
આ બોલવું, આ ન બોલવું. આ યોગ્ય, આ અયોગ્ય,
આ સિધ્ધિ, આ અસિધ્ધિ વગેરે.
*સંપૂર્ણ જગત. દ્વન્દ્વાત્મક છે*.
તેમાથી કોઈ એકને પસંદ કરતાં હોઈએ છીએ અને બીજાનો ત્યાગ કરતાં હોઈએ છીએ. જ્યાં પસંદગી નાપસંદગી છે, ત્યાં આપણું ચિત્ત યાત્રાએ નીકળી જાય છે. *અર્થાત્ પસંદગી ના પસંદગી એટલે ચિત્તની યાત્રા.*

સમતા જ યોગ છે - ઈક્વિલિબ્રિયમ, સંતુલન, સંગીત યોગ છે. બેની વચ્ચે પસંદગી નહીં, સમભાવ. બે વિરોધોની વચ્ચે પસંદગી નહીં, અવિરોધ. બે અંતિમો વચ્ચે, બે પોલેરિટીજની વચ્ચે, બે ધ્રુવોની વચ્ચે પસંદ નાપસંદ નહીં, રાગ દ્વેષ નહીં, સાક્ષીભાવ. સમતાનો અર્થ બરોબર સમજી લેવો જરૂરી છે. કારણ કે *શ્રીકૃષ્ણ સમતાને યોગ કહે છે.*.

સમતા કેળવવી અતિશય કઠીન છે. પસંદગી અતિશય સરળ છે. જેમ પસંદગી અતિશય સરળ છે, તેમ અતિશયતા પણ સરળ છે. ખૂબ ખાવું સરળ છે, તેમ બિલકુલ ન ખાવું પણ સરળ છે. પરંતુ જરૂરિયાત મુજબ ખાવું અતિશય કઠીન છે. પસંદગી અતિશય સરળ છે. મન તરત જ કહે છે, આને પસંદ કરો અને જે પસંદ નથી કરેલ તેને છોડી દો. પસંદગી જ નહીં. કારણ કે બન્ને સમાન છે. સિક્કાને હંમેશા બે બાજુઓ હોય છે. એક પકડીએ એટલે બીજી બાજું અનિવાર્ય પણે હાથમાં આવે જ છે. લાકડીને હંમેશા બે છેડા હોય છે. કોઈ એક છેડો પકડીશું એટલે બીજો છેડો હાથમાં અનિવાર્ય પણે હાથમાં આવશે જ.

નદીને બે કિનારા હોય છે. આ બે કિનારાઓ વચ્ચે નદીનો પ્રવાહ વહે છે. જો નદીને એક જ કિનારો હોય, તો નદી ક્યારેય પ્રવાહમાન રહીને સાગરને પામી શકે નહીં. આપણને ચાલવાને માટે બે પગ છે, એક પગથી ચાલી શકાતું નથી. પક્ષીને ઉડવા માટે બે પાંખો છે. એક પાંખથી ઉડી શકાતું નથી. જીવનપ્રવાહ બે દ્વન્દ્વોની વચ્ચે વહે છે. તેથી કોઈ એકને સ્વીકારી શક્તાં નથી કે કોઈ એકને છોડી શક્તાં નથી.

તેથી પસંદગી નાપસંદગી નથી, બન્ને વચ્ચે વિરોધ નહીં, બન્નેમાંથી કોઈ એકની પસંદગી નહીં. બન્ને માટે સમભાવ, સમત્વ, સમતા, પસંદગીનો અભાવ, ચ્વાઈસલેસનેસ એ યોગ છે. આ સમત્વ આવે કેવી રીતે?

ઘણી વખત આપણા મનમાં એવો વિચાર આવે છે કે, સુખ - દુદખના દ્વન્દ્વને છોડીને નિર્દ્વન્દ્વને પસંદ કરીએ. આ પસંદગી કરી કે સમત્વ ગયું. કારણ કે આપણે એક બીજી ભૂલ કરીએ છીએ. જે આપણે પકડી શક્તાં નથી. કારણ કે ભૂલ સૂક્ષ્મ છે. જેમ સુખ કે દુઃખમાંથી આપણે સુખને પસંદ કરીએ છીએ અને દુઃખને છોડીએ છીએ. એ જેમ ભૂલ છે, તેવી જ સુખ - દુઃખ દ્વન્દ્વને છોડીને નિર્દ્વન્દ્વને પસંદ કરીએ છીએ.

એક દ્વન્દ્વને છોડીને બીજું દ્વન્દ્વ ઉભું કરીએ છીએ. અને તેમાં સુખ - દુઃખના દ્વન્દ્વને છોડીને સુખ દુંખ અને નિર્દ્વન્દ્વનું બીજું દ્વન્દ્વ ઉભું કરીને નિર્દ્વન્દ્વને પસંદગી આપીને આપણે હતાં ત્યાંને ત્યાં જ રહીએ છીએ.

તેથી શ્રીકૃષ્ણ કહે છે પસંદગી નહીં, સમભાવ. આ સમભાવ યોગ છે. આ સમભાવને વિશેષ મહત્વ આપવામાં આવે તો સારું .

આ સમભાવ સમગ્ર અધ્યાત્મ જગતનું રહસ્ય છે. જે આ રહસ્યને પામી ગયાં, તે મંઝિલે પહોંચી ગયાં.
આથી આપણા સમાજમાં અને આધ્યાત્મિક જગતમાં *સમતા = સમત્વ* ની ખૂબ જરૂરત છે.

*મહેન્દ્રભાઈ  રાવલ*
સંયોજક
*શબ્દ સંવાદ*

No comments:

Post a Comment